આજે રાજકોટના લોકોમાં એવી ચર્ચા થઇ રહી છે કે જો અત્યારે વિજય રૂપાણી મુખ્યમંત્રી હોત તો મોટા ભાગના પ્રોજેક્ટ પૂર્ણ થવા આવ્યા હોત
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા ત્યારે રાજકોટમાં એક પછી એક નવા નવા પ્રોજેક્ટની હારમાળા સર્જીને રાજકોટવાસીઓને વિકાસની ભેટ આપી હતી પણ સંજોગો એવા બન્યા કે વિજય રૂપાણીએ પોતાની સરકાર પાંચ વર્ષ પુરા કરે તે પહેલા જ રાજીનામુ આપી દીધું. આ રાજીનામાં બાદ ગુજરાતની આખી સરકાર અને મંત્રીઓ બદલી ગયા અને રાજકોટનો વિકાસ ખોરંભે ચડ્યો.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રાજકોટના વતની હોવાથી રાજકોટની જનતા માટે અનેકો પ્રોજેક્ટ ખુલ્લા મુક્યા હતા જેનાથી રાજકોટનો વિકાસ જેટ ગતિએ આગળ વધી રહ્યો હતો. હાલ રાજકોટમાં વિજય રૂપાણી સરકાર વખતે ચાલતા પ્રોજેક્ટ ગોકળ ગતિએ ચાલે છે અને તમામ પ્રોજેક્ટના 50 ટકા પણ કાર્ય હજુ સુધી કરવામાં આવ્યું નથી.
રાજકોટમાં વિજય રૂપાણી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે અટલ સરોવર, નવું રેસકોર્સ, નવી કોર્ટ બિલ્ડીંગ, માધાપર સર્કલ પાસે ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજ, કાલાવડ રોડ પર ઓવરબ્રિજ, નાનામવા ચોક પાસે ઓવરબ્રિજ, એ.જી ચોક પાસે ઓવરબ્રિજ, ન્યારી ડેમ પાસે મીની રેસકોર્સ, આજી રિવરફ્રન્ટ સહીત નવો 200ફૂટ રિંગ રોડ જેવા મોટા પ્રોજ્ક્ટની હરણફાળ સર્જી હતી જેનાથી રાજકોટનો વિકાસ ચારે બાજુ થઇ રહ્યો હતો.
હાલ આ બધા પ્રોજેક્ટ ચાલુ જ છે પરંતુ આ પ્રોજેક્ટ જે સમયે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા ત્યારે જે ગતિએ ચાલતા હતા તે ગતિમાં બ્રેક લાગી ગઈ છે અને હાલ આ પ્રોજેક્ટમાં જેટમાંથી ગાડાની ઝડપ પકડી હોય તેમ ધીમી ગતિએ કાર્ય થઇ રહ્યું છે. ગુજરાત સરકારમાં વિકાસ માટે પણ વ્હલા દવલાંની નીતિ ચાલતી હોય તેમ ગુજરાતમાં મોટા પ્રોજેક્ટ પર ઝડપથી કાર્ય થઇ રહ્યું છે અને સૌરાષ્ટ્રના રાજકોટનો વિકાસ જાણે થંભી ગયો હોય તેવું માલુમ પડી રહ્યું છે. ગુજરાતના હાલના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સૌરાષ્ટ્રના પાટનગરનો વિકાસ બને એટલો જલ્દી થાય તેવા તાકીદે નિર્ણય લેવા જોઈએ.
રાજકોટ શહેરમાં નવા ભળેલા વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષનો વેરો લેવાનો શરુ થઇ ગયો છે પણ હજુ સુધી ગટર, પાણી, લાઈટ, ટ્રાંસપોર્ટ જેવી સુવિધા મળી રહી નથી. રાજકોટના કમિશ્નર અને કલેક્ટર આ અંગે ગાંધીનગર રિપોર્ટ ક્યારે મોકલશે અને ગોકળ ગતિએ ચાલતું કામ ક્યારે જેટ ગતિએ ચાલશે તેની રાજકોટવાસીઓ રાહ જોઈ રહ્યા છે.
આજે રાજકોટના લોકોમાં એવી ચર્ચા થઇ રહી છે કે જો અત્યારે વિજય રૂપાણી મુખ્યમંત્રી હોત તો મોટા ભાગના પ્રોજેક્ટ પૂર્ણ થવા આવ્યા હોત પણ અફસોસ સાથે આજે ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી નથી અને ભુપેન્દ્ર પટેલ છે જેને સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટનો રૂંધાયેલો વિકાસ આંખે આવ્યો નથી.