અમદાવાદ શહેરમાં રાણીપ વિસ્તારમાં આવેલા પુરષોતમનગર ફ્લેટમાં એક 16 વર્ષની વિદ્યાર્થીનીએ ધોરણ 10માં નપાસ થવાના ડરથી ઘરે ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ બનતા રાણીપ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરીને કાર્યવાહી કરી હતી.
આ બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસમાં પરિવાર દ્વારા જણાવ્યું હતું કે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના પરિણામને લઈને તેમની દીકરી સતત તણાવમાં રહેતી હતી. વિદ્યાર્થીનીને પોતે આપેલી પરીક્ષાના પેપર સારા ન ગયા હોય અને પરીક્ષામાં પાસ થશે કે નાપાસ તેનો ડર સતાવી રહ્યો હતો. પોલીસે લાશને પીએમ અર્થે મોકલી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ શહેરના રાણીપના પીંક સીટી ફ્લેટ પાસે આવેલા પુરષોતમનગર ફ્લેટમાં રહેતા મંજીરામ બામણીયા તેમની પત્ની અને 16 વર્ષની પુત્રી કિંજલ ઉર્ફે કશક સાથે રહે છે. મંજીરામ પ્રાઇવેટ નોકરી કરે છે અને પરિવારનું ગુજરાત ચલાવે છે અને તેમની પત્ની હાઉસવાઈફ છે. મંજીરામ સવારે નોકરી પર ગયા હોય અને તેમની પત્ની 10:30 વાગ્યાના સુમારે સ્નાન કરવા માટે ગયા હતા તે જ સમયે કિંજલ ઘરે રૂમમાં એકલી હતી. મંજીરામના પત્ની સ્નાન કરીને બહાર આવ્યા ત્યારે કિંજલે પંખા સાથે દુપટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.
બનાવને પગલે માતાએ પુત્રીને નીચે ઉતારવા માટે દુપતાને કાપી નાખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કિંજલના પ્રાણ જતા રહ્યા હતા.બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. પરિવાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે પરીક્ષાના પરિણામની સતત ચિંતા કરતી હતી અને તેને લીધે તે તણાવમાં રહેતી હતી જેને પગલે આત્મહત્યા કરી છે તેમ પ્રાથમિક તાપસમાં જાણવા મળ્યું છે.