વિજ કંપનીના રાજપીપલા ડિવિઝન અંતર્ગત આવતા વિસ્તારમાં બાકી રહેલી રિસ્ટોરેશનની કામગીરી ક્યાંક પૂર્ણ તો ક્યાંક પ્રગતિ હેઠળ
નર્મદા જિલ્લામાં તાજેતરમાં જ થયેલા ભારે વરસાદને કારણે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વીજ થાંભલા તેમજ ટ્રાન્સફોર્મરને નુકશાન થવાના પગલે થોડા સમય માટે કેટલાંક સ્થળોએ વીજ પુરવઠો ખોરવાયો હતો. વિજ કંપનીના રાજપીપલા ડિવિઝન અંતર્ગત આવતા વિસ્તારમાં બાકી રહેલી રિસ્ટોરેશનની કામગીરી હજૂ પણ પ્રગતિ હેઠળ છે. જિલ્લામાં લોકોની સુખાકારીમાં કોઈ અગવડતા ન પડે તે માટે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ દ્વારા અપાયેલી સૂચના અને માર્ગદર્શન મુજબ ડીજીવીસીએલના રાજપીપલા ખાતેના કાર્યપાલક ઈજનેર એચ.ડી.રાણાના નેતૃત્વમાં કામ કરી રહેલી વિવિધ ટીમોએ ત્વરીત અસરથી રિસ્ટોરેશનની કામગીરી શરૂ કરી છે. હાલમાં ડીજીવીસીએની હદમાં આવતા તમામ ગામો-વિસ્તારોમાં અને ખાસ કરીને રહેણાંક વિસ્તારનો વિજ પૂરવઠો પુન: શરૂ કરી દેવામાં આવ્યો છે.
નર્મદા જિલ્લામાં સાગબારા અને દેડિયાપાડા તાલુકામાં વધુ વરસાદ વરસતા અંતરિયાળ વિસ્તારના ગામો વિજ વિક્ષેપથી અસરગ્રસ્ત થયા હતા. ખાસ કરીને વિજ લાઈન પર ઝાડ પડવા, વિજ પોલ પાસે જમીનનું ધોવાણ થતાં તેમજ ટ્રાન્સફોર્મર તૂટી પડવાની સ્થિતિ સર્જાઈ હતી. દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિવિધ ટીમો દ્વારા તાત્કાલિક અસરથી ગામેગામ પહોંચી નુકશાનીનો સર્વે કરવા સાથે જરૂરી સમાગ્રી સ્થળ પર પહોંચાડી રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
હાલમાં જિલ્લાના તમામ ગામોને ૨૪ કલાક ઘર વપરાશનો વિજ પૂરવઠો આપવામાં આવી રહ્યો હોવાનું વિજ વિભાગના રાજપીપલા ડિવીઝનના કાર્યપાલક ઈજનેર એચ.ડી.રાણાએ જણાવ્યું છે.
માધ્યમો સાથેના સંવાદમાં દક્ષિણ ગુજરાત વિજ કંપનીના રાજપીપલા ડિવિઝનના કાર્યપાલક ઇજનેર એચ.ડી.રાણાએ જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં થોડા દિવસો પહેલા ભારે વરસાદને કારણે ડી.જી.વી.સી.એલ.ના રાજપીપલા ડિવિઝનમાં આવતા દેડીયાપાડા અને સાગબારા તાલુકાની નદીઓમાં પૂરની પરિસ્થિતિને કારણે તેમજ વિજ લાઇન પર ઝાડ પડવાથી વિજ પોલને નુકશાન થયું હતું. જેમાં ખાસ કરીને દેડીયાપાડા તાલુકાના મોટા સુકાઆંબા, કાબરી પઠાર, વેડછા ગામમાં પણ ટ્રાન્સફોર્મર તૂટી ગયા હતા જ્યારે સાગબારા તાલુકાના રોઝદેવ ગામમાં મોબાઇલ ટાવરના ટ્રાન્સફોર્મરનું સ્ટ્રક્ચર તૂટી ગયુ હતું.
આ તમામ ટ્રાન્સફોર્મરનું સ્ટ્રકચર હાલમાં રિસ્ટોર કરી વિજ પુરવઠો પૂર્વવત કરી દેવમાં આવ્યો છે. જ્યાં જ્યાં વિજ પોલ પડી જવા કે નમી જવા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું તેને અમારી ટીમ દ્વારા સત્વરે રિસ્ટોરેશન કરી તમામ ગામોમાં ૨૪ કલાક વિજ પુરવઠો હાલમાં ચાલુ કરી દેવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, રાજપીપલા શહેરી વિસ્તારમાં કોઇપણ સ્થળે ટ્રાન્સફોર્મરને નુકશાન થયેલ નથી. પરંતુ મામલતદાર કચેરી, કરજણ ઓવારા સ્મશાનગૃહ, બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સીટીના કેમ્પસ તેમજ વાવડી નજીક કેનાલ પરના વિજપોલ તૂટી ગયા હતા. તે તમામ વિજપોલની રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ કરી શહેરી વિસ્તારમાં પણ વિજ પુરવઠો વિના વિક્ષેપે પૂરો પાડવામાં આવી રહ્યો છે.