ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભાજપમાં પ્રવર્તતા અસંતોષ અને જુથવાદની ચર્ચા છે, તો જામનગર જિલ્લા પંચાયતમાં પણ ભાજપના નેતાઓ વચ્ચેના આંતરિક મતભેદો ચર્ચાના ચાકડે ચડ્યા છે. રાજકોટમાં રૃપાણી જુથે લોબીંગ શરૃ કર્યાના અહેવાલો વચ્ચે રૃપાણીને કોર કમિટીમાં સમાવ્યા પછી તેને વિધાનસભાની ટિકિટ નહીં મળે, તેવી જ રીતે નીતિનભાઈ પટેલ, આર.સી. ફળદુ વગેરેને પણ વિધાનસભાની આગામી ચૂંટણીમાં ટિકિટ આપવાના બદલે તેઓના અનુભવનો લાભ રાજ્યવ્યાપી ચૂંટણી પ્રચાર માટે સંગઠનમાં લેવાશે તેવી ધારણાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આંતરિક અસંતોષ અને જુથવાદ વધુ વકરી રહ્યો હોવાનું કહેવાય છે. જામનગરની જિલ્લા પંચાયતના કોઈ ચોક્કસ કોન્ટ્રાક્ટરને લાખો રૃપિયાની ડિપોઝિટ પરત કરવાના મુદ્દે કોઈ નિર્ણય લેવાયો નહીં, તે મુદ્દો પણ ગઈકાલે જામનગર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો હતો. ભાજપમાં અત્યારે સી.આર. પાટીલ તથા દિલ્હીથી હાઈકમાન્ડના નિર્દેશો મુજબ જ બધું ચાલે છે, તેથી છૂપો અસંતોષ છે, જ્યારે પૂર્વ કોંગ્રેસી નેતાઓનો ભાજપમાં સામેલ કરાયા પછી વકરેલા જુથવાદ અને આંતરિક અસંતોષને ડામવા આખેઆખી રાજ્ય સરકારની પૂર્નરચના કરાઈ, પરંતુ તેમ કરવા જતાં કોંગ્રેસમાંથી આયાત કરેલા નેતાઓના જુથોને અસંતોષ થતા નવો જુથવાદ પેદા થયો હોવાનું કહેવાય છે. કોંગ્રેસમાં જુથવાદ હોવાના દાવાઓ કરતા કેટલાક નેતાઓ પણ ખુદ જ ભાજપના જુથવાદના વમળોમાં ફસાયા છે, અને આમ આદમી પાર્ટી જોર કરી રહી છે, ત્યારે પંજાને પરાસ્ત કરવા જતા ઝાડુ ન ઘૂસી જાય તે માટે બન્ને મુખ્ય પક્ષો વચ્ચે કોઈ ‘બેકડોર’ ડીલ થવાની શક્યતાઓ પણ નકારી શકાતી નથી.
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભૂકંપ આવી શકે છે,ચૂંટણીના અંત સમયે ભાજપના નારાજ નેતાઓ શુ બીજી પાર્ટીનો હાથ પકડશે?
Date: