અંકલેશ્વર તાલુકાના બોઈદરા ગામ ખાતે રહેતા 55 વર્ષીય ઉર્મિલા ચુનીલાલ ઓઢ-બે દિવસ પૂર્વે ધરેથી ગુમ થઇ ગયા હતા. જેમનો ગતરોજ 9મી ડિસેમ્બરના રોજ આંબોલીનગામની પ્રાથમિક શાળા પાછળ બોઈદરા ગામની હદમાંથી દુર્ગંધ મારતો મૃતદેહ મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી.
બનાવ અંગેની જાણ અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસ મથકે કરતાં શહેર પીઆઈ તેમજ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
આ સમગ્ર હત્યાની ઘટનામાં મૃતક ઉર્મિલાબેનનો પતિ ચૂંનીલાલ ઓઢ પોલીસની નજરમાં પ્રથમ શકદાર હતો. જેથી ભરૂચ જિલ્લા એસપી ડો.લીના પાટીલની સુચનાઓથી ભરૂચ LCBના પીઆઈ ઉત્સવ બારોટના સુપરવિઝન હેઠળ શહેર એ-ડિવિઝન પીઆઈ આર.એચ. વાળાએ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં મૃતકનો પતિ ચુનીલાલ ઓઢને ઝડપી પાડીને કડક પૂછતાછ હાથ ધરી હતી. પોલીસની પૂછપરછમાં તૂટી ગયેલા ચુનીલાલે પોતેજ તેની પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી લેતા પોલીસે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર મામલે ઊર્મિલાબેનના પતિએ જણાવ્યું હતું કે, તેનું અન્ય મહિલા જોડે પ્રેમ સંબંધ હતો. જેની તેની પત્ની ઉર્મિલાને જાણ થઈ જતાં બંનેય વચ્ચે અવાર- નવાર આ અંગે ઝઘડાઓ અને મારામારી થતી હતી. પતિ પત્ની બંનેને દારૂની લત હતી. 5 ડિસેમ્બરના રોજ મૃતકે ઝઘડો થયા બાદ ઘર છોડ્યું હતું. જે બાદ બે દિવસ પૂર્વે રાત્રે પરત નશાની હાલતમાં આવતા પતિ-પત્ની વચ્ચે પુનઃ ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાઈને પતિએ તેના મોઢાના ભાગે લાકડીના સપાટા મારીને ગળું દબાવી પત્નીને મોતને ઘાટ ઉતરી ત્યાંથી ફરાર થઇ ગયો હતો.