અંકલેશ્વરના સુરવાડી ફાટક નજીક રેલવેની માલિકીની જગ્યામાં વર્ષોથી બાંધી દેવાયેલાં કાચા-પાકા મકાનો ઉપર સોમવારે તંત્રનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ખાલી કરાવેલી જગ્યા કન્ટેનર યાર્ડના વિસ્તરણ તથા પાવર સ્ટેશન ઉભું કરવા માટે નડતરરૂપ હોવાથી અગાઉ પણ દબાણો દુર કરવાના પ્રયાસો કરાયાં હતાં પણ સ્થાનિકો સાથે ઘર્ષણ થતાં કામગીરી થઇ શકી ન હતી.
રેલવે તેના પ્રોજેકટ ઝડપથી પુરા કરવા માગતી હોવાથી સોમવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ શાખાની ટીમ આવી હતી અને સ્થાનિકોના વિરોધ વચ્ચે પણ 57 જેટલા દબાણોનો સફાયો બોલાવી દીધો હતો. જેને પગલે ઠંડીમાં સેંકડો લોકો બેઘર બન્યા છે.
હવે કન્ટેનર યાર્ડ અને CSS સ્ટેશન બનશે. રેલ્વે વિભાગ દ્વારા બોરભાઠા બેટ ગામ ખાતે જ્યાં દબાણ દૂર કરવામાં આવ્યું છે. ત્યાં સી.એસ.એસ સ્ટેશન વીજળી પાવર હાઉસ સેન્ટર બનશે તેમજ કન્ટેનર યાર્ડ વિભાગનું વિસ્તૃતિકરણ કરાશે.