હેડીંગ વાંચી કોંગ્રેસીઓને ખોટુ લાગશે કે કેમ ભાઈ કોંગ્રેસની નૌકા હજુ ક્યાં ડુબી ગઈ છે, હજુ પણ વિધાનસભામાં ઠીક ઠીક કહી શકાય તેવા ધારાસભ્યો છે. પરંતુ જે રીતે સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી અને તેના પહેલા આઠ પેટા ચૂંટણીના પરિણામો આવ્યા તે પ્રમાણે પોલિટીકલ સાયંસ તેને નાવડી ડુબી ગઈ એમ કહે. એટલે કહ્યુ કે કોંગ્રેસની ડૂબી ચુકેલી નવકાને પ્રશાંત કિશોર બચાવી શકે ખરા?
ફેસબુક, વોટ્સઅપ અને ઈન્સ્ટાગ્રામના આ યુગમાં પ્રશાંત કિશોરનો પરિચય આપવાની જરુર ન જ પડે તો પણ, જે લોકો પ્રશાંત કિશોરને ઓળખતા નથી તેના માટે બે લાઈનનો પરિચય. આ મહાશનયે ભણી ગણીને નક્કી કર્યુ કે કંઈ નોનટ્રેડીશનલ વ્યવસાય કરવો જોઈએ. એટલે તેમણે દૂનિયાનો સૌથી અનોખો ધંધો ચાલુ કર્યો અને તે વ્યવસાય એટલે રાજનેતાઓને ભણાવવાનો. જે રાજનેતાઓ આખુ વર્ષ મતદાતાઓને અને પ્રજાને ઉઠાભણાવતી હોય તેને ભણાવવાનુ કામ આ મી. પ્રશાંત કિશોર નામના માણસે ચાલુ કર્યો.
સૌથી પહેલા તેમનુ નામ ગુંજ્યુ 2014ની લોકસભાની ચૂંટણીમાં. તે સમયે તેઓ ભાજપ સાથે કામ કરતા હતા. મોટે ભાગે તેઓ વડાપ્રધાન મોદીનુ કામ જોતા હતા. ચાય પે ચર્ચા જેવા અનેક લોકપ્રિય કાર્યક્રમ તેમણે ભાજપ માટે આપ્યા અને ભાજપ ઐતિહાસિક વિજય મેળવી સત્તા પર બીરાજમાન થયુ. ત્યાર બાદ ભાજપ સાથે સંબંધો સારા ના રહ્યા એટલે તેઓ શ્રી બિહારના નિતીશકુમાર સાથે જોડાયા. બીહારમે બહાર હો, નિતીશે સરકાર હો જેવા લોકોની જીભે ચડી જનાર સુત્રો આપી તેમને વિજય અપાવ્યો.
પછી, રાહુલ ગાંધીએ તેમનો સહકાર લીધો. પંજાબ અને ઉત્તર પ્રદેશમાં ખાટલા પંયાચતો વિગેરે તિકડમ કર્યા પરંતુ રાહુલ ગાંધીને કદાચ રાજયોગ નથી એટલે ત્યાં પ્રશાંત કિશોર નીષ્ફળ ગયા.
પ્રશાંત કિશોરની સૌથી મોટી સફળતા અને ચેલેન્જ તેમણે બંગાળણાં મમતા બેનર્જી સાથે જો઼ડાણ હતી. ભાજપનો આક્રમક પ્રચાર. ટીવી ચેનલોમાં સંપુર્ણ ભાજપની જીતના દ્રષ્યો. મોદી સહિત ભાજપના સેંકડો કાર્યકરો બંગાળ પર તુટી પડ્યા. કૈલાશ વિજય વર્ગીય જેવા બાહુબલી નેતાઓ કોઈ પણ સંજોગોમાં ભાજપને જીતાડવા બધુ જ કરવા તૈયાર હતા. એવા સમયે પ્રશાંત કિશોરે ચેલેન્જ કરી કે જો બંગાળમાં ભાજપ જીતશે તો તેઓ તેમનુ રણનિતીકાર તરીકેનુ કામ છોડી દેશે. એ સમયે હુ બંગાળમાં મારી ચેનલ વતી રિપોર્ટીંગ કરવા ગયો હતો. મે પણ કૈલાસ વિજય વર્ગીયને પુછ્યુ હતુ કે પ્રશાંત કિશોરના આ નિવદેનને તમે કેવી રીતે મુલવો છે, તો કૈલાશ વિજય વર્ગીયે પોતાની લાક્ષણીક અદામાં કહ્યુ કે અફસોસ, દેશ એક રણનીતીકાર ગુમાવશે. પરંતુ પ્રશાંત કિશોર સાચા સાબિત થયા. બંગાળમાં મમતાએ સુપડા સાફ કરી નાંખ્યા અને ખેલા હોબેના નારા આપનાર પ્રશાંત કિશોરનુ રાજકિય કદ ખુબ વધી ગયુ.
હવે મુળ વાત, ગુજરાત કોંગ્રેસ આગામી વિધાનસભાની ચૂંટણીનુ સુકાન પ્રશાંત કિશોરને સોંપવા જઈ રહી છે. લગભગ વાત નક્કી છે. નરેશ પટેલ(ખોડલધામવાળા)ના આગ્રહથી પ્રશાંત કિશોર ગુજરાતમાં આવી રહ્યાં છે. 30 વર્ષથી સત્તા વગરની કોંગ્રેસને ગુજરાતમાં સત્તા પર લાવવા માટે પ્રશાંત કિશોર તો શું પરંતુ લોકશાહિના પિતામહ કાર્નવાઈલ કે પછી સાક્ષાત ચાણક્ય આવે તો પણ કોંગ્રેસને જીતાડવી અધરી છે, કારણ કે મહામહિન અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી ત્રીજા મોરચા તરીકે ચૂંટણી લડી રહી છે. આમ આદમી પાર્ટી ત્રીજા પક્ષ તરીકે ચૂંટણી લડે તો કોંગ્રેસ તળિયાથી પણ નિચે જતી રહે. હા, ભાજપ -કોંગ્રેસ વન ટુ વન ફાઈટ થાય તો ગેસના સીલીન્ડરના 1100 રુપિયા, પેટ્રોલના ભયાનક વધતા ભાવ, બેરોજગારી વગેરેના કારણે કદાચ ભાજપને ભારે પડી શકે. પરંતુ ભાજપ વિરોધી મતોના બે ભાગ પડે એટલે સી.આર.પાટીલનુ ડ્રિમ કે 182 સીટ જીતવી છે તેની નજીક પહોંચી જાય.
જો આમ આદમી પાર્ટી મેટ્રો સીટીમાં ચૂંટણી લડે અને ગ્રામિણ વિસ્તારમાં કોંગ્રેસ લડે એવુ સંયોજન થાય તો ભાજપ કદાચ ત્રીસ વર્ષમાં પ્રથમ વખત હારનો સામનો કરે. પરંતુ કોંગ્રેસ અને આપ વચ્ચે કોઈ પણ સંજોગોમાં સમાધાન થાય તેવુ લાગતુ નથી. આમ આદમી પાર્ટી 2022 નહી પરતુ 2027ના ટાર્ગેટ સાથે આ ચૂંટણી લડશે, તેવુ મારુ અનુમાન છે.
કોંગ્રેસના પરંપરાગત મતો જેવા કે ગ્રામિણ દલિત મતો, લઘુમતી સમાજ, અન્ય પછાત વર્ગ કે જે હજુ પણ કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા છે એ મતોમાં આમ આદમી પાર્ટી ભાગ પડાવેજ. જે રીતે પંજાબમાં દરેક ઓફિસમાં શહિદ ભગતસિંહ અને ડો.બાબાસાહેબ આઁબેડકરજીના ફોટા મુકવામાં આવ્યા છે તેનાથી દલિત મતદાર આમ આદમી તરફ આકર્ષાયો છે, તે હકિકત છે. આ સ્થીતીમાં પ્રશાંત કિશોર ગમે તેટલા આઈડિયા આપે, ગમે તેટલા વર્ગો લે પરંતુ કોંગ્રેસને જીતવુ કઠીન છે.
હાલ કોંગ્રેસમાં પ્રશાંત કિશોરના આગમનથી રાજકીય વર્તુળોમાં ચર્ચા શરુ થઈ ગઈ છે કે પ્રશાંત કિશોરના આવવાથી ગુજરાતના રાજકારણમાં કંઈ ફરક પડે કે નહી. ભાજપના આઈટી સેલ દ્વારા અત્યારથી જ પ્રશાંત કિશોર વિરુધ્ધ પ્રચારના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે.
અમરેલી ભાજપના અગ્રણી અને નરેન્દ્ર મોદીના વિશ્વાસુ એવા ભરત કાનાબારે એક ટ્વીટ કરી, કે ગુજરાતના લોકો મોદીને દિલ ફાડીને પ્રેમ કરે છે. એટલે ગુજરાતમાં કોઈ અશાંત કે પ્રશાંત આવે તો ભાજપને કંઈ ફરક પડે નહી. આ ટ્વીટ જેના દ્વારા કરવામાં આવી છે તે ડો. ભરત કાનાબાર નરેન્દ્ર મોદીના ખાસમખાસ ગણાય છે. ગુજરાતમાં છેલ્લે નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે કાર્યકરોની પાઠશાળામાં મોદીએ જે ચાર લોકોના નામનો ઉલ્લેખ કર્યો હતો તેમાં ડો. કાનાબારનુ નામ પણ હતુ. મોદીને દેશના વડાપ્રધાન બનાવવા જોઈએ તેવી દેશમાં સૌ પ્રથમ મુહીમ ડો. કાનાબારે પોતાની ઓન્લી હી કેન ડુ ઈટ નામની એસએમએસ સીરીઝથી ચાલુ કરી હતી. એટલે પ્રશાંત કિશોર વિરુધ્ધની પહેલી આડકતરી કોમેન્ટ પણ ડો. કાનાબાર જેવા ભાજપના નેતા દ્વારા કરવામાં આવી છે તેનો અર્થ એ કે ભાજપને પણ પ્રશાંત કિશોરનો ડર લાગી રહ્યો છે. હવે જોઈએ શું થાય. હાલ તો વાધ આવ્યો રે ભાઈ વાધ આવ્યો તેમ રોજ ઉઠીને સવારે સમાચાર આવે છે કે પ્રશાંત કિશોર ગુજરાત આવી રહ્યાં છે.