અંકલેશ્વર તિરંગા હોટલ પાસે એક બાઈક સવારને અકસ્માત નડયા બાદ સારવાર માટે ગયેલાં યુવાનની બાઇક ચોરી થઇ હોવોનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. તિરંગા હોટલ પાસે અજાણ્યા વાહન ચાલકે યુવાનની બાઇકને ટક્કર મારી હતી. ઘટનાને પગલે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે બાઈક ચોરી ફરિયાદ નોંધાવતા પોલીસે બાઇક ચોરને શોધવાની કવાયત હાથ ધરી છે.
અંકલેશ્વરની મહાદેવ હોટલની પાછળ આવેલા ગણેશ સોસાયટી માં ભગવાન મૂનેશ્વર સોની વેલ્ડીંગ નું કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે.તે રાબેતા મુજબ વેલ્ડીંગ કરવા માટે નીકળ્યો હતો.સાંજના સમયે તે પોતાની બાઈક લઈને પરત આવતા હતા તે સમયે તિરંગા હોટલ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર ભગવાન સોનીને અડફેટમાં લીધો હતો.
ભગવાન સોનીને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે ભગવાન સોની રાત્રીના સારવાર કરાવી પરત પોતાના ઘરે આવી ગયો હતો. જ્યારે બીજા દિવસે તે અકસ્માતના સ્થળે પોતાની મોટરસાયકલ લેવા માટે ગયો હતો.
પરંતુ અકસ્માત સ્થળે તેની બાઈક જોવા નહીં મળતા આજુબાજુમાં શોધખોળ કરી હતી. પરંતુ તેની બાઈક નહીં મળતા તેને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે બાઈક ચોરી ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટના સ્થળની આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવીના ફુટેજ મેળવી બાઇક ચોરી કરી ભાગેલા બાઇકચોરના સગડ મેળવવાની કવાયત હાથ ધરી છે.