પૌરાણિક મકાન તો સચવાશે સાથે સાથે મુલાકાતીઓ જુના મકાનથી જરૂરી માહિતી પણ મેળવી શકે તેવા આશય સાથે નવા વિચાર સાથે નવો અભિગમ અપનાવતા તબીબ દંપત્તિ
આજે વાંચન થી ક્યાંય પણ અટકી શકાતું નથી અને વાંચન જ આપણને સફળતા અપાવી શકે છે, પણ આ માટે આવો એક વિચાર આવવો તે પણ જરૂરી બને છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવો એક વિચાર તબીબને આવ્યો અને બસ પ્રાચિન મકાન બની ગયું વાંચનનું સરનામું.
સામાન્ય રીતે ઘર જુની થઇ જાય એટલે તેને તોડી પાડીને નવું બનાવવાનો વિચાર આવતો હોય છે, પરંતુ જુની યાદોને પોતાના સ્વજનો સાથે જોડી રાખવાનો વિચાર કદાચ જ કોઇને આવતો હોય કંઇક આવો જ વિચાર કરીને જૂનવાણી મકાનનું થોડુઘણું રીનોવેશન કરીને મકાનમાં લાયબ્રેરી શરૂ કરવામાં આવી છે. આ વિચાર અરવલ્લીના મોડાસાના એક તબીબ દંપત્તિને આવ્યો અને અંદાજે ત્રણ સો વર્ષ જુના મકાનને યાદગીરી રૂપે સાચવી તો રાખ્યું પણ હવે આ મકાન લાયબ્રેરીમાં ફેરવાઈ ગયું છે. મોડાસા શહેરમાં જુની પોળમાં પ્રાચિન મકાનમાં લાયબ્રેરી બનાવીને તબીબ પરિવારે સ્થાનિક લોકોને એક ભેટ આપી છે. અંદાજે 300 વર્ષ જુના મકાનમાં લાયબ્રેરી બનાવીને સંસ્કારોનું સિંચન, ધાર્મિક ભાવન વધે અને લોકો વાંચતા થાય તે હેતુથી આ લાયબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
મોડાસાના વતની અને હાલ અમદાવાદમાં સ્થાયી થયેલા ડોક્ટર જયેશ શેઠ દ્વારા તેમના ત્રણસો વર્ષ જુના મકાનનું રીનોવેશન કરાવીને અલગ-અલગ વિષયોના 554 જેટલા પુસ્તકોનો સંગ્રહ કર્યો છે, જેને વાંચવા માટે આસપાના રહીશો પહોંચે છે, સવાર –સાંજ નિયત સમય દરમિયાન પુસ્તક રસિકો વાંચવા માટે પહોંચી જતાં હોય છે,, આ સાથે જ પૌરાણિક મકાનનો ત્રણસો વર્ષ જુનો દસ્તાવેજ પણ અહિંયા મુકવામાં આવેલો છે. પુસ્તકાલય પાછળ અંદાજે ત્રણ લાખનો ખર્ચ કરીને સ્થાનિક લોકોને એક ભેટ આપીને નવો ચિલો ચાતર્યો છે.
જિંદગીમાં સાચા મિત્રો પુસ્તકો જ હોય છે, ઘણીવાર ડિપ્રેશન અથવા તો મુશ્કેલથી મુશ્કેલ સમયમાં પુસ્તકોના વાંચન પછી જ સાચો અને યોગ્ય માર્ગ નિકળતો હોય છે, બસ આવા નેક વિચાર સાથે તબીબી દંપત્તિએ પિતાના પ્રાચિન માનને આજે ભવિષ્યની પેઢી માટે સમર્પિત કરી દીધું છે.