માતર તાલુકાના મહેલજ ગામની સીમમાં એમ્પાયર ફાર્મમાં રહેતા અને મૂળ ગોધરાના શખસના લગ્ન એક વિધવા લઘુમતી સમાજની મહિલા સાથે થયા હતા.
શખસ સાથે લગ્ન કરીને આવેલી આ વિધવાને અગાઉના પતિથી ત્રણ દીકરીઓ હતી. જેમાંથી એક દીકરીનાં લગ્ન અમદાવાદ ખાતે થઈ ગયાં હતાં. બાકીની બે દીકરીઓ સાથે તે પોતાના બીજા પતિ સાથે અગાઉ અમદાવાદ ખાતે રહીને કામ-ધંધો કરતાં હતાં, પરંતુ મહેલજ સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં દેખરેખ માટે કોઈની જરૂર હોવાથી આ શ્રમિક પરિવાર ફાર્મ હાઉસની દેખરેખ માટે મહેલજ સીમમાં આવીને રહીને મજૂરી કામ કરવા લાગ્યો હતો.
આ કેસની સુનાવણી આજે મંગળવારે હાથ ધરાઇ હતી. નડિયાદના મહે.સ્પે.જજ (પોકસો) પી.પી.પુરોહિતની કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ ગોપાલ વી. ઠાકુરની દલીલો તેમજ કેસમાં રજૂ કરેલા કુલ 12 સાહેદોના પુરાવા અને કુલ 44 દસ્તાવેજી પુરાવાઓ વગેરે ધ્યાને લઈ સમાજમાં આવા ગુનાઓ ઓછા બને તો સગીર દીકરીઓ ઉપરના બળાત્કારના કિસ્સાઓ બંધ થાય વગેરે કારણોને ધ્યાને લઈ કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે. વધુમાં આરોપીને કોર્ટે એક લાખ પાંચ હજાર રૂપિયાનો દંડ કર્યો છે અને રૂપિયા 2 લાખ ભોગ બનનારને વળતર આપવા હુકમ કર્યો છે.
આ 11 વર્ષની 10 માસની પુત્રીએ પેટમા અચાનક દુખાવો ઉપડતાં તેણીની માતા તેને લઈને નડિયાદમાં દોડી આવી હતી નડિયાદના સિવિલના ડોક્ટરે સોનોગ્રાફી કરતા ત્રણ માસનું ગર્ભ હોવાનું બહાર આવતા ભોગ બનનારની માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ અને આવા કૃત્ય કોણે આચર્યું હશે તેવી શંકા વ્યક્ત કરતા દિકરીએ આ કૃત્ય પાછળ તેના સાવકા પિતાજ જવાબદાર હોવાનું જણાવ્યું હતું.
કેસના સરકારી વકીલે જણાવ્યું હતું કે આ કેસમાં ગર્ભપાત કરાવ્યા બાદ DNA રિપોર્ટ લીધો હતો. જે આરોપીના ડીએનએન સાથે મેચ થતુ હતું. જેથી આ પુરાવો પણ મહત્વનો બન્યો છે. આ ઉપરાંત ભોગ બનનાર અને ફરિયાદીએ કોર્ટમાં આપેલી જુબાની પણ મહત્વની બની ગઈ હતી ઈ.પી.કો.કલમ-376(એ બી)માં ભોગ બનનારની ઉંમર 12 વર્ષ કરતા નીચે હોય ત્યારે આરોપીને ફાંસી આપવાની જોગવાઈ છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આરોપીને ફાંસીની સજા કરવામાં આવી છે.